ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઉન્નાવ રેપ કેસમાં દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઉન્નાવ રેપ કેસમાં દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. CBI એ સુપ્રીમ કોર્ટને હાઇકોર્ટના સજા સ્થગિત કરવા અને જામીન આપવાના આદેશ પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. કુલદીપ સિંહ સેંગરને ડિસેમ્બર 2019 માં આજીવન કેદ અને ₹25 લાખ દંડની સજા ફટકારવામાં આવી હતી. તેણે જાન્યુઆરી 2020 માં દિલ્હી હાઇકોર્ટમાં આની વિરુદ્ધ અપીલ દાખલ કરી હતી. ત્યારબાદ, માર્ચ 2022 માં સજા સ્થગિત કરવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. CBI અને પીડિતાનું પ્રતિનિધિત્વ કરતા વકીલો દ્વારા આ અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો.
હાઇકોર્ટે સેંગરની સજા સ્થગિત કરી
બધી દલીલો સાંભળ્યા પછી દિલ્હી હાઇકોર્ટે 23 ડિસેમ્બર, 2025 ના રોજ અપીલનો નિકાલ ન થાય ત્યાં સુધી સેંગરની સજા સ્થગિત કરી અને ચોક્કસ શરતો સાથે તેમને જામીન આપ્યા. જો કે, આ રાહત છતાં સેંગર તાત્કાલિક જેલ છોડી શકશે નહીં, કારણ કે તે CBI ના બીજા કેસમાં હત્યા માટે 10 વર્ષની સજા ભોગવી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટના આદેશનો અભ્યાસ કર્યા પછી સીબીઆઈએ 26 ડિસેમ્બર, 2025 ના રોજ સુપ્રીમ કોર્ટમાં ખાસ રજા અરજી દાખલ કરી, જેમાં નિર્ણયને પડકારવામાં આવ્યો.
સેંગરના જામીન પરિવાર માટે ખતરો છે: પીડિતા
ઉન્નાવ બળાત્કાર પીડિતાએ 26 ડિસેમ્બરે જણાવ્યું હતું કે કુલદીપ સેંગરની આજીવન કેદની સજા સ્થગિત કરવાના નિર્ણયથી તે ડરશે નહીં અને આ કેસમાં ન્યાય અપાવવા માટે સુપ્રીમ કોર્ટ પર સંપૂર્ણ વિશ્વાસ છે. પીડિતાએ જણાવ્યું હતું કે સેંગરના જામીનથી તેના પરિવારની સલામતી અને આજીવિકા જોખમમાં મુકાઈ છે. તેણીએ કહ્યું, “આ આદેશે મને અને મારા જેવી ઘણી મહિલાઓને કેદ કરી છે. તે મારા પરિવારને જોખમમાં મૂકે છે. મારા પતિએ તેની નોકરી ગુમાવી દીધી છે. હવે અમે શું કરીએ ?”
પીડિતાએ આ કેસમાં કાનૂની લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી અને કહ્યું કે તે ડરીને ચૂપ રહેવાની નથી. તેણીએ કહ્યું, “તેણે (કુલદીપ સેંગર) વિચાર્યું કે અમે ડરી જઈશું અને ચૂપ રહીશું. તેણે કોઈ મહિલાનો દુર્ગા અવતાર જોયો નથી. અમે ડરીશું નહીં.”


